રક્તપિત્ત નાબૂદીના પંથે ગીર સોમનાથ જિલ્લો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     રક્તપિત્ત નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લાનો આરોગ્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.એસ.રૉયની સૂચનાથી ઊનાકોડીનાર અને વેરાવળ એમ ત્રણ તાલુકાઓમાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૪ લાખથી વધુ વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી માત્ર ૫ દર્દીઓ જ પોઝિટિવ જણાયા હતાં.

આ પાંચેય દર્દીઓને સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે તમામ સારવાર સાથે જ દર મહિને રૂ.૮૦૦ની તબીબી સહાય પણ આપવામાં આવે છે.  ગીર સોમનાથ જિલ્લાના રક્તપિત્ત અધિકારી ડો.શીતલ રામે આ અંગે જણાવ્યું હતું કે, ‘જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે ઊનાકોડીનાર અને વેરાવળ તાલુકામાં દર્દીઓને શોધવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ તાલુકાની ૪,૦૧,૩૯૯ વસ્તીનો સર્વે કરાયો હતો. જેમાં ૪૧૮ જેટલા દર્દીઓ શંકાસ્પદ જણાયા હતાં પરંતુ તેમાંથી માત્ર ૫ દર્દી કે જેમાંથી ઊના તાલુકાના ૪ અને કોડીનારનો ૧ દર્દી પોઝિટિવ આવતા તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, રક્તપિત્ત રોગથી ગભરાવવાની જરૂર નથી. નિયમિત સારવાર અને તકેદારી રાખવામાં આવે તો રક્તપિત્ત માત્ર ૬ મહિનાની સારવારમાં નાબૂદ થઇ શકે છે. જિલ્લામાં કોઇ પણ દર્દીઓને રક્તપિત્ત રોગ અંગે જાણકારી મળે તો નજીકના સરકારી દવાખાનામાં નિદાન અને મફત સારવાર કરાવી શકે છે.  જેથી જિલ્લાને રક્તપિત્તના રોગમાંથી મુક્ત કરી શકીએ.

શું છે રક્તપિત્તના લક્ષણો?

– શરીર ઉપર આછું, ઝાંખું, રતાશ પડતું બહેરાશવાળુ ચાઠું.

– આ ચાઠાઓમાં દુઃખાવો કે ખંજવાળ ન થાય અને સંવેદના વગરના હોય છે.

– જ્ઞાનતંતુઓ જાડા થાય તેમજ તેમાં દુઃખાવો પણ થઇ શકે.

“ગભરાશો નહી, રક્તપિત્ત મટી શકે છે“

– રક્તપિત્ત મટી શકે છે, તરત જ નજીકના સરકારી દવાખાનામાં તપાસ કરાવો અને વિનામૂલ્યે બહુઔષધિય(એમ.ડી.ટી) સારવાર લો.

– રક્તપિત્તનાં દર્દી અંગે બેદરકાર ન રહો.

– દર્દી સારવાર પૂરતા સમય સુધી અને નિયમિત લે તે જરૂરી છે.

– રક્તપિત્તના દર્દીઓ પ્રત્યે કુણી લાગણી અને સહાનુભુતિ રાખો.

– જરૂર પડે તો શસ્ત્રક્રિયા કરાવો.

– શસ્ત્રકિયા પછી વ્યક્તિ સ્વાવલંબી બની શકે છે.

Related posts

Leave a Comment